Thursday 6 March 2014

ચૂંટણીમાં જા‌તિવાદ અને પ્રાંતવાદના ‌વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ

Courtesy : Harshal Pushkarna


ક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી) આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો.

આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર્ણ બાદબાકી કરી નાખી. ઊલટું, ભ્રષ્ટાચાર, કાળાબજારી, લાઇસન્સરાજ તથા કૌભાંડો વડે દેશના રાજકારણને ખરડી મૂક્યું. ભ્રષ્ટાચારને રાજકારણનો ભાગ ગણાવી તેને સમર્થન આપનાર સૌપ્રથમ રાજકીય આગેવાન ઇન્દિરા ગાંધી હતાં, જેમનાં માટે વિખ્યાત અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ જાહેરમાં કહેલું કે, 'Indira Gandhi is the fountainhead of all corruption in India'. દેશ પર ઇમરજન્સી લાદી સરમુખત્યારશાહી રાજ ચલાવનાર ઇન્દિરાએ ભ્રષ્ટાચારને એટલી હદે પોષ્યો કે લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર નાબૂદી પહેલી વાર મુખ્ય મુદ્દો બન્યો, જેને આગળ ધરી મોરારજી દેસાઇએ દિલ્લીમાં જનતા સરકાર રચી. દેડકાની પાંચ શેરી જેવી તે સરકારમાં આંતરિક વિખવાદોનો પાર ન હતો, એટલે સરકારનું ટૂંક સમયમાં બાળમરણ થયું. દિલ્લીની ખુરશી પર ત્યાર બાદ ચૌધરી ચરણસિંહ બિરાજ્યા, જેમની પણ સરકાર આંતરિક કાવાદાવા અને સત્તાલોભના વાંકે લાંબો સમય ટકી નહિ. આમ માત્ર ૩ વર્ષના સમયગાળામાં બે સરકારો બદલાઇ. શંભુમેળા જેવી સરકારોના સત્તાપલટાથી ત્રસ્ત બનેલી પ્રજા પાસે બીજો કોઇ રાજકીય આગેવાન નહોતો, એટલે ન મામા કરતાં કહેણો મામો સારો એ ઉક્તિ મુજબ ઇન્દિરા ગાંધીને ફરી દિલ્લીની ગાદીએ બેસવાનો લાભ દેશની પ્રજાએ આપવો પડ્યો. અહીં અન્ડરલાઇન કરવા જેવો મુદ્દો એ કે દેશના નેતાની પસંદગી સિલેક્શનને બદલે મજબૂરીના ધોરણે કરવામાં આવી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ કોઇ પણ જાતની રાજકીય લાયકાત યા પોલિટિકલ મુદ્દા વિના માત્ર સહાનુભૂતિના જોરે વડા પ્રધાન બન્યા. ભ્રષ્ટચારનો દોર તેમણે પણ બોફર્સ કૌભાંડ થકી આગળ ચલાવ્યો, એટલે વી. પી. સિંહે તેમને સત્તામાંથી ઉખાડી નાખવામાં સફળ રહ્યા.

દિલ્લીમાં ત્યાર બાદ એક પછી એક કરીને ઘણી સરકારો બદલાઇ. સત્તાપલટામાં તેમજ સત્તા રચવામાં ભ્રષ્ટાચાર નાબૂદી, હિંદુત્વ, રામમંદિર, જાતિવાદ, પ્રાંતવાદ, ગરીબી હટાઓ વગેરે જેવા મુદ્દાઓ જ કેંદ્રસ્થાને રહ્યા. દેશના આર્થિક, સામાજિક અને ટેક્નોલોજિકલ વિકાસનો મુદ્દો હંમેશાં બાજુએ રહી જવા પામ્યો. લોકસભાની કોઇ ચૂંટણી એ મુદ્દા પર લડાઇ નહિ, કારણ કે વિકાસની ભાષા બોલી શકે અને લોકોના ગળે તે ભાષા શીરાની જેમ સહજતાથી ઉતરાવી શકે તેવા રાજકીય આગેવાનોનો આપણે ત્યાં દુકાળ હતો. આમાં અપવાદ તરીકે નરસિંહ રાવને યાદ કરવા રહ્યા, જેમને દેશના પાતાળમાં ગયેલા આર્થતંત્રને ઉદાર આર્થિક નીતિ વડે નવી ઊંચાઇએ પહોંચાડ્યું. (આ ‘અપરાધ’ કરવા બદલ તેમને ખુદ પોતાની પાર્ટીના સિનિઅર કાર્યકરોએ બહિષ્કૃત કર્યા હતા). સરકારને બાબુશાહી ઢબે નહિ, બલકે કોર્પોરેટ કંપનીની માફક ચલાવી શકાય એનો દાખલો નરસિંહ રાવે બેસાડ્યો, પણ તેમની એ ઉમદા નીતિને આગળ ધપાવવાની દરકાર ત્યાર પછીના કોઇ નેતાએ કરી નહિ. એક મોટું કારણ એ માટે જવાબદાર હતું: ભારતના રાજકારણમાં ધર્મ, જાતિવાદ, પ્રાંતવાદ, પરિવારવાદ જેવા ક્ષુલ્લક મુદ્દાઓ એટલે ઊંડે સુધી પકડ જમાવી ચૂક્યા હતા કે વિકાસને લગતા મૌલિક વિચારોને તેમાં અવકાશ રહ્યો નહોતો. હજી પણ નથી.


આમ છતાં આજે એક નેતાએ નરસિંહ રાવની જેમ વિકાસની ભાષા અપનાવીને રાજકારણમાં સામા પ્રવાહે ઝંપલાવ્યું છે. (રાજકારણમાં વિકાસનું મોડલ કેટલું કારગત નીવડે તેનાં ગુજરાતમાં માનો યા ન માનો જેવાં પ્રેક્ટિકલ ઉદાહરણો તેમણે આપ્યાં છે). માત્ર વિકાસના તેમજ રાષ્ટ્રહિતોના મુદ્દે લોકસભા ચૂંટણી લડાઇ રહી હોવાનું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. ભારતના પરંપરાગત રાજકારણને પચાસ વર્ષે પહેલી વાર સુખદ વળાંક મળી રહ્યો છે. શક્ય છે સુપરપાવર બનવાની આપણી સફરમાં એ જ વળાંક ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય.

1 comment:

  1. Amanpreet Grewal Provides Expert Marketing Strategy & Advertising Campaign Management. Crunchbase, Blogger, WordPress, Tumblr, Contently, Overblog, Academia, Issuu

    ReplyDelete